ભાગ · અધ્યાય ૫૮૬

નારાયણે વિપ્રરૂપે આવી ઇન્દ્રદ્યુમ્ન રાજાને જગન્નાથજીની મૂર્તિ વિશે કહ્યું

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, જગન્નાથપુરીમાં શંકર સુક્ષ્મ શરીર ધારણ કરી તપ કરતા હતા. ત્યાં દાનવો પાતાલમાંથી મનુષ્યોને મારવા આવ્યા ત્યારે શ્રીહરિએ ત્યાં પૃથ્વીના છીદ્રમાં બીલ્વફળ વાવી વૃક્ષ ઉગાડી ત્યાં શંકરની સ્થાપના કરી તે બીલ્વેશ્વર તીર્થ કહેવાય છે. તથા ત્યાં સુક્ષ્મ સ્વરૂપ ધારણ કરવાથી શંકર કયોતેશ્વર નામથી પ્રસિદ્ધ થયા. પછી ઈન્દ્રદ્યુમ્ન રાજાને ડાબુ અંગ ફરકીને અપશુકન થયું. નારદજી કહે, અત્યારે પ્રભુ અદૃશ્ય થયા હોવાથી દર્શન નહીં થાય. આ સાંભળી રાજા પુરોહિતને કહે, મારા પુત્રનો ગાદીઅભિષેક કરી આવો તો હવે હું અહીં સદાવાસ કરીશ. જ્યાં સુધી શ્રીહરિ મને દર્શન નહીં આપે ત્યાં સુધી અહીં જ રહીશ. ત્યારે નારદે કહ્યું, રાજા તું હજાર યજ્ઞ પુરા કરીશ પછી શ્વેતદ્વીપ ધામમાં પ્રભુ તને લઈ જશે. તેથી તું અહીં અશ્વમેઘ યજ્ઞ શ્રીહરિની પ્રસન્નતા માટે કર. તે પ્રભુ અત્યારે નીલ પર્વતમાં નૃસિંહરૂપે રહે છે. તે પ્રતિમાનું પૂજન કરજે. જેથી સર્વ વિઘ્ન નાશ પામે.

તે સમયે નારદ સાથે રાજા નીલ પર્વત પર ગયા. નૃસિંહ ભગવાનને જોઇને પૂજા કરી. રેતીથી ઢંકાયેલો દિવ્ય વડ જોયો. પછી નારજીના કહેવાથી યજ્ઞ કર્યો. ત્યાં મનુષ્યરૂપે બ્રહ્મપુત્ર વિશ્વકર્માએ આવીને ચાર દિવસમાં નૃસિંહ મંદિર કરી દીધું. ત્યારે નારદજી દેવો, દેવીઓ સાથે આવી જેઠ સુધી બારશે ઉત્સવ કરીને નૃસિંહ ભગવાનની ષોડ્શોપચારથી પૂજા કરી. નૈવેધ આરતી, કરી વૈશાખ સુદ ચૌદશ સુધી યજ્ઞમાં સર્વ દેવો ઋષિઓ બ્રાહ્મણો વૈષ્ણવો સર્વની પૂજા કરી ભોજન દાન આપ્યા. પછી યજ્ઞને અંતે રાજાએ સર્વએ અવભૃથ સ્નાન કર્યું. ત્યાં સ્વપ્નમાં રાજાને શ્વેતદ્વીપ ધામના દર્શન થયા. ક્ષીર સમુદ્ર મધ્યે શ્રેષ્ટ સિંહાસન પર બેઠેલા. શંખ, ચક્ર, ગદા, પદ્મને ધારણ કરતા. પીતાંબરધારી એવા નારાયણના દર્શન કર્યાં. જમણી બાજુ સંકર્ષણ શેષને જોયા. ડાબી બાજુ લક્ષ્મીરૂપ સુભદ્રાને જોયા તથા સનકાદિકથી સ્તુતિ કરાયેલા એવા શ્રીહરિના દર્શન કરીને રાજાને અલૌકિક આનંદ થયો.

બીજા દિવસે રાજાએ નારદજીને સ્વપ્નની વાત કરી ત્યાં આકાશવાણી થઈ કે, જ્યાં યજ્ઞ કર્યો છે તે વેદીકા વસ્ત્રથી ઢાંકી દેજો. પંદર દિવસ પછી ત્યાં મૂર્તિ સ્વયં બની જશે. ત્યાં નારાયણ વિપ્રનું રૂપ લઇ આવ્યા અને કહ્યું કે, દ્વાર બંધ કરી દેજો. બહાર વાજીંત્રો વગાડજો. અંદર પ્રવેશ કોઇને કરવા દેશો નહીં. જ્યાં સુધી મૂર્તિ નિર્માણ નહિં થાય ત્યાં સુધી કોઇએ જોવું નહીં. જે દેખશે તેને ભય અને અંધપણું આવશે. એ પ્રમાણે કહીને નારાયણરૂપ વિપ્ર અદૃશ્ય થયા.