ભાગ · અધ્યાય ૫૨૩

કપિલ ભગવાન અને જૈગીષ્ય ઋષિનો અશ્વશીરા રાજાને ઉપદેશ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, અશ્વપટ સરોવર લોમશઋષિના આશ્રમે કપીલ ભગવાન અને અશ્વશીરા રાજા દર્શને આવ્યા. ત્યાં અશ્વશીરા રાજાએ કપિલ ભગવાનને પૂછ્યું. મોક્ષ જ્ઞાનથી થાય છે કે કર્મથી ? કપિલ ભગવાને કહ્યું, મનુષ્ય સારું-નરસુ કર્મ પ્રભુને અર્પણ કરે તો સંસારમાં નિર્લેપ રહે છે. ગંગા કાંઠે એક શિકારી રહેતો. તે મૃગલાને મારતો. તે જોઇને બ્રાહ્મણ કહે, તને પાપ થશે. પેલો શિકારી કહે, સર્વ માયાથી જન્મે છે. માયામાં લીન થાય છે. હું મારતો નથી, હું દુ:ખાતો નથી. આ સર્વ કર્મ પરમાત્મા મારી પાસે કરાવે છે અને હું પ્રભુને સર્વ કર્મ અર્પણ કરૂ છું. હું કાંઇ કરતો નથી. વિચારે કંઇ, બોલે બીજું, કાર્ય જુદુ. તે પોતાનો સ્વાર્થ સાધી બીજાનો નાશ કરે છે. માટે મારી પરીક્ષા કરવી હોય તો કરો. ત્યારે બ્રાહ્મણે અગ્નિ પ્રગટાવી. તેની જાળ અગ્નિમાં મૂકી. જાળ બળી નહીં અને તે શિકારીએ અગ્નિમાંથી જાળ કાઢી પણ તેને અગ્નિનો સ્પર્શ ન થયો. તે જોઇ સર્વ આશ્ચર્ય પામ્યા. એ રીતે તે શિકારી નિર્લેપ હતો. મનુષ્ય અહંકારરહિત થઇ સર્વ કર્મ પ્રભુને અર્પણ કરે તો બંધન ન થાય. આવુ કપિલ ભગવાનનું વચન સાંભળી અશ્વશીરા રાજાએ માન્યું કે, કર્મ પ્રભુને અર્પણ કરવાથી મોક્ષ થાય છે.

ત્યાં જૈગીષ્ય ઋષિ આવ્યા. તે પચાસ કલ્પની આયુષ્યવાળા હતા. અશ્વશીરા રાજાએ જૈગીષ્ય ઋષિને પૂછ્યું, શ્રીહરિની ભક્તિ કેમ કરવી ? ઋષિ કહે, કપિલ અને અમારા જેવા અનંત સર્વથી પર વૈકુંઠ ગોલોકથી પર પરમધામમાં રહેલા એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણ આ અશ્વપટ સરોવર કુંકુમવાપીમાં શ્રીકૃષ્ણવલ્લભરૂપે પ્રગટ થયા છે. તે સર્વ અવતારોના અવતારી છે. તેના દર્શન કરવા અમે સર્વ આવ્યા છીએ. હે રાજા, તે પ્રગટ પ્રભુની સર્વાપણ ભાવે ભક્તિ કરવી. પ્રત્યક્ષ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનનો આવો મહિમા જાણી અશ્વશીરા રાજા પુત્રને ગાદી સોંપી ભક્તિ કરવા લાગ્યો. પ્રસન્ન થયેલા શ્રીહરિ અશ્વશીરા રાજાને વિમાનમાં બેસારી અક્ષરધામમાં લઇ ગયા.