પુંડરીક અને અંબરીષ બંને ભક્તિપરાયણ રહી અંતે ધામમાં ગયા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હું મૂર્તિ રૂપે દિવ્ય છું. સુખ અને મોક્ષનો આપનારો છું. જે રીતે પૃથ્વી આદિ પંચમહાભૂત જીવાત્માને રહેવાનું ઘર છે. તે રીતે મૂર્તિ તે મારે રહેવાનું ઘર છે. એકતત્વરૂપે આત્મરૂપે મને કોઇ જોઇ શકતા નથી. તેવા માયીક દૃષ્ટિવાળા માટે હું મૂર્તિરૂપે થયો છું. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ તે સર્વ મારું શરીર છે તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ તે રૂપે પણ હું થયો છું. મન, બુદ્ધિ તે રૂપે પણ હું થયો છું. બ્રહ્મશરીર, મુક્તશરીર, તે પણ મારું શરીર છે. સર્વરૂપે હું થયેલો છું. વેદ મંત્રો પ્રતિષ્ઠા, કર્મકાંડ તે સર્વ હું છું. ચેષ્ટા વિનાની કાષ્ટની પ્રભુની મૂર્તિને જો દિવ્ય લીલાવાળી જાણે તો તેના કોટી અપરાધ માફ કરીને તેનો મોક્ષ કરું છું.
પૂર્વે કુરુક્ષેત્રમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય બે મિત્ર હતા. ધર્મ, કર્મ, ભક્તિહીન હતા. અધર્મનું આચરણ કરતા. એકવાર કુરુક્ષેત્રમાં વિષ્ણુયાગ થયો હતો. તેને યજ્ઞનાં દર્શન કર્યા અને વેદ મંત્રો સાંભળ્યા. ત્યાં તેની બુદ્ધિ નિર્મળ થઈ. તે બન્નેને એવો વિચાર આવ્યો કે, આપણે પાપ ધોવા માટે સંસાર સમુદ્ર તરવા માટે વિદ્વાન વિપ્રને પુછીએ. એટલે બ્રાહ્મણને પૂછ્યું, દારૂ પીનારા, માંસ ખાનારા, વ્યભિચાર, ચોરી, હિંસા કરનારાના પાપ કઇ રીતે નાશ પામે અને મુક્તિ કેમ થાય ? વૈદિક વિપ્રો કહે, સર્વ તીર્થમાં ઉત્તમ પુરુષોત્તમ પુરી જગન્નાથ ક્ષેત્ર છે ત્યાં પુરુષોત્તમ નારાયણ વાસ કરે છે તેથી ત્યાં મુક્તિ થાય છે. પછી બંને મિત્રો ઋષિને લઇને ત્યાં પુરુષોત્તમપુરી આવી સમુદ્રમાં સ્નાન કરી મંદિરમાં દર્શન કરવા ગયા. ત્યાં મૂર્તિ ન દેખાણી એટલે નિરાશ થઈને ત્રણ દિવસ અનશન વ્રત લઇ શ્રીહરિનું નામ, ધૂન, કિર્તન કર્યાં. ત્રીજી રાત્રિએ મંદિરમાં બેઠા હતા ત્યાં તેજ દેખાયું અને ફરી લીન થયું. સાતમી રાત્રિએ શ્રીહરિ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પુરુષોત્તમના લક્ષ્મીએ સહિત આયુધો સાથે વસ્ત્ર, આભૂષણોથી શોભતા, ચર્તુભુજ સ્વરૂપે દર્શન કર્યાં. અનેક શોભાવાળા નારદ સનકાદિથી સ્તુતિ કરાયેલા એવા પ્રભુનું દિવ્ય દર્શન કરી બન્ને મિત્રોને દિવ્યજ્ઞાન પ્રાપ્ત થયું, અને સ્તુતિ કરવા લાગ્યા કે, હે પુરુષોત્તમનારાયણ એમ કામી, ક્રોધી, પાપી આચારવાળા છીએ. આ ઋષિની કૃપાથી તમારે શરણે આવ્યા છીએ. હે જગન્નાથ, અમને તમારો મંત્ર આપો જનો જપ કરી અમે ભવપાર ઉતરીએ. ચોવીશ તત્ત્વોરૂપે રહેલા આત્મરૂપે રહેલા એવા તમને નમસ્કાર. યોગ તપ વિના પણ દર્શન આપનાર હે પ્રભુ કૃપા કરી અમને તમારી દાસ્યભક્તિ આપો. એવી રીતે સ્તુતિ કરી, દંડવત કરતા તે પુંડરીક અને અંબરીષ બેય મિત્રોને શ્રીલક્ષ્મીનારાયણ પ્રભુએ કાષ્ટ રૂપે દિવ્ય દર્શન આપ્યા. મંદહાસ્યવાળા, શ્રીવત્સના ચિહ્નવાળા, પીતાંબરધારી, કેશર ચંદનવાળા પુષ્પોના હારોથી શોભતા, સુવર્ણના આભૂષણોથી શોભતા, ધનુષ, ધ્વજ, ત્રિશુલ, સ્વસ્તિક, મત્સ્યના ચિહ્નવાળા એવા શ્રીહરિ પુરુષોત્તમ તથા સંકર્ષણ અને તેજસ્વી લક્ષ્મી તથા સુભદ્રાને જોઇને અતિ આશ્ચર્ય પામ્યા.
સમુદ્ર કાંઠે દિવ્ય વડ નીચે કાષ્ટની દિવ્ય પ્રતિમામાં અનાદિશ્રીકૃષ્ણનારાયણના ચાર સ્વરૂપના દર્શન કરીને બેય મિત્રોએ વિચાર કર્યો કે, આપણે બન્ને અહીં જ રહીએ. એવો નિશ્ચય કરી ત્યાં રહી શ્રીહરિની ભક્તિ પરાયણ થયા અને અંતે શ્રીહરિના અક્ષરધામમાં ગયા. એ રીતે જગન્નાથપુરી પુરુષોત્તમ ક્ષેત્રમાં રહેનારા નરનારીઓ સકામ હશે તો પણ સ્વર્ગમાં ભોગ ભોગવી અને પછી શ્રીહરિના ધામમાં જાશે. શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ઉત્કલ દેશમાં દક્ષિણ સમુદ્ર કાંઠે રહેનારા મારા વૈષ્ણવ ભક્તો ઋષિ કુલના મારી ભક્તિ પરાયણ છે. ત્યાં મારા ભક્તોમાં સદા સત્યુગ વસેલો છે. તે દેશ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારો પ્રસિદ્ધ છે. તેના દર્શનથી પણ ભક્તિ અને મુક્તિ બન્ને પ્રાપ્ત થાય છે.