ભાગ · અધ્યાય ૨૬૦

કાર્તિક વદની રમા એકાદશી - મુચકુંદપુત્રી ચંદ્રભાગાની કથા

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, કાર્તિક વદ રમા એકાદશીની વ્રત વિધિ કથા કહું. સ્નાન કરી હિરણ્યરુપ લક્ષ્મી સાથે શ્રીહરિને પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર અલંકારો ધારણ કરાવી, નૈવેધ ધરી, સાકર, શ્રીફળ, સોપારી થાળીમાં મૂકી. આરતી ઉતારી, દંડવત, પ્રણામ, સ્તુતિ, પ્રાર્થના કરી, વ્રત પૂર્ણ માટે પ્રાર્થના કરવી. આખો દિવસ ભગવાનની નવધા ભક્તિ વિના જવા દેવો નહીં. સાત ધાન્યોથી મંડળ પૂરીને વિધિ પ્રમાણે વ્રત, દાન, પૂજન કરનારી નારી રમાલક્ષ્મી સમાન ભક્તિવાળી થાય છે. નરમુક્ત સમાન થાય છે.

પૂર્વે ઇન્દ્ર સમાન મુચકુંદ રાજા હતો. સર્વે દેવો તેને મિત્ર સમાન માનતા તે વિમાનમાં બેસી ત્રિલોકીમાં ફરતો. તેના રાજ્યમાં સર્વે ભક્તો હરિવાસર એકાદશી વ્રત કરતા. આખો દિવસ ભજન-ભક્તિ કરતાં. મુચકુંદ રાજાએ પોતાની પુત્રી ચંદ્રભાગાને શશીસેન રાજાને આપી. તે પણ પ્રભુનો ભક્ત હતો. એક વખત ચંદ્રભાગા પતિ સાથે પિતાને ત્યાં આવી. ત્યાં એકાદશી વ્રતને દિવસે પતિને અતિ તાવ આવ્યો. ચંદ્રભાગા વિચારવા લાગી પતિ ભૂખે મરે છે અને પિતાનું નિયમ કઠીન છે. અશક્ત હોય તો પણ વ્રત કરવું. કેમ કરવું જેમ થવાનું હશે તેમ થશે. શશીસેન એકાદશીએ ખાધા-પીધા વિના બીજે દિવસે સૂર્યોદય પહેલાં મરી ગયો. તેરમા એકાદશી વ્રતના પુણ્યથી સ્વર્ગમાં ઇન્દ્ર સમાન સુખ પામ્યો. સ્વર્ગમાંથી દૂત મુચકુંદ રાજા પાસે આવ્યો. મુચકુંદ રાજાએ પુત્રી ચંદ્રભાગાને કહ્યું. પુત્રીએ દૂતને કહ્યું : મને પણ મારા પતિ પાસે લઇ જા. તે ચંદ્રભાગા રમા એકાદશીના વ્રતથી સ્વર્ગમાં દિવ્ય દેહ ધારણ કરી પતિ પાસે ગઇ. પછી બંને ભક્તિ કરી અક્ષરધામમાં ગયા.