ભાગ · અધ્યાય ૩૭૯

પતિવ્રતાના ધર્મપાલનથી ભક્તિ અને મુક્તિની પ્રાપ્તિ

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, હિમાલય પત્ની મેનાએ પુત્રી પાર્વતીને પતિવ્રતાના ધર્મ ભક્તિ અને મુક્તિ આપનારા સમજાવતા હતા કે, પતિવ્રતાના ધર્મથી પત્ની પૂજ્યપણાને પામે છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ઋષિ-મુનિઓને માન્ય થાય છે. જે સ્ત્રી અતિ સ્નેહથી ભક્તિપૂર્વક અનાદિશ્રીકૃષ્ણનારાયણની સેવા પતિભાવે કરે છે તે આ લોકમાં સુખી થઇને ભગવાનના ધામને પામે છે. પતિવ્રતા સ્ત્રીએ પતિ મારવા છતાં બોલવું નહીં, પતિ બોલાવે ત્યારે ગૃહકામ સર્વે મૂકી પતિ પાસે આવવું, આજ્ઞા વિના ક્યાંય જવું નહીં, પતિની આજ્ઞા વિના વ્રત, ઉપવાસ પણ ન કરવા. પતિ પરબ્રહ્મ સ્વરૂપ છે. પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારી, પતિનો દ્વેષ કરનારી, વાદ-વિવાદ કરનારી, પતિ સામે ક્રોધ કરનારી, તિરસ્કાર- તાડન કરનારી સ્ત્રી, કૂતરી, શિયાળવી, વાંદરી થાય છે. પતિની સામે ઊચે આસને ન બેસવું. અપવાદ કલંક ન આપવા. પતિ પાસે અભિમાન ન રાખવું. પતિને ત્યજીને મિષ્ટાન ખાય છે. તે ભુંડણી અને વડવાંદરી થાય છે. પતિને તુંકારો કરનારી મુંગી, તોતડી, અલ્પજીવી થાય છે. જેના ઘરમાં પતિવ્રતા પત્ની છે તેના માતા-પિતા, બાંધવો, કુટુંબ ધન્ય થાય છે. ગામ અને દેશ પણ ધન્ય થાય છે. પિતૃવંશના, માતાના વંશના, અને પતિના વંશના પતિવ્રતાના પુણ્યથી દેવો થાય છે. પતિવ્રતા સ્ત્રી જ્યાં હોય ત્યાં ભૂમિ વૈકુંઠધામ સમાન થાય છે.

એકવાર નારદ સ્વર્ગમાં ગયા ત્યાં પંચચૂડા અપ્સરાને પૂછ્યું, સ્ત્રીના સ્વભાવ કેવા હોય છે ? પંચચૂડા કહે : બ્રહ્માએ સ્ત્રીના સ્વભાવો ચંચળ બનાવ્યા છે. તે ચંચળ સ્વભાવ શાંત કરવા માટે પતિનું સ્વરૂપ બનાવ્યું. તેથી સ્ત્રી જો એમ સમજે મારે સર્વે સુખનું ધામ, શાંતિનું સ્થાન, કામના શાંતિ, લજ્જાનું પાત્ર, કુળ કુટુંબનું પાત્ર, વંશ-વૃદ્ધિનું પાત્ર, સેવાનું પાત્ર, મોક્ષનું પાત્ર, સર્વે સદ્ગુરૂનું પાત્ર, મારું સર્વસ્વ પતિમાં છે. એમ સમજે તો માયાના સર્વે દોષને જીતી પતિ સાથે ભગવાનના ધામમાં વાસ કરે છે.