પુરુષોત્તમ માસની સુદ છઠ્ઠની તિથીની પૂજનવિધિ - નારાયણ, બ્રહ્મા અને કૃષ્ણ પિતૃકન્યાઓના જમાઇ થયા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, પુરુષોત્તમ માસની છઠની કથા કહું છુ. પૂર્વે સૃષ્ટિના આરંભમાં પિતૃઓની માનસ કન્યા મેના, ધન્યા, કલાવતી હતી. તેણે શ્રીહરિનું પુરુષોત્તમ માસનું નગારું સાંભળ્યું. તેથી તે ત્રણ કન્યાઓએ વિચાર કર્યો. આપણે પિતૃઓના ઉદ્ધાર માટે પુરુષોત્તમને પતિ ભાવે વરીએ અથવા પુત્રપણું માગીએ. પરંતુ વિવાહ વિધિમાં કુટુંબનો વિયોગ તે દુ:ખ. સાસરા પક્ષમાં મર્યાદામાં રહેવું તે દુ:ખ. પતિ પાસે હોય તો અપરાધ થાય, દૂર હોય તો સેવા ન થાય. અતિ યોગમાં મર્યાદા નહીં રહે, અમર્યાદા દુ:ખદાયી, ભગવાન પાસે શું માગવું ? ત્યાં આકાશવાણી થઇ - પ્રભુની પાસે પુત્રીઓનું વરદાન માગી પ્રભુને કન્યાદાન આપી જમાઇ કરજો, જમાઇ પુત્ર સમાન કહેવાય છે. ત્યારે ત્રણે પિતૃ કન્યાઓ પુરુષોત્તમ માસની છઠે બ્રાહ્મમુહૂર્તમાં જાગી સ્નાન કરીને કૃષ્ણનારાયણ પુરુષોત્તમને પંચામૃતથી સ્નાન કરાવી, વસ્ત્ર, આભૂષણો ધારણ કરાવી, ષોડ્શોપચારથી પૂજન કરી, નૈવેદ્ય ધરી, આરતી, પ્રદક્ષિણા કરી, સ્તુતિ, પ્રાર્થના કરી. હે પુરુષોત્તમ અમે આજે તમારું વ્રત વિધિપૂર્વક કરી, હોમ-હવન કરશું. અમારું વ્રત પૂર્ણ થવામાં તમે સહાયરૂપ થજો.
ત્રણે કન્યાઓએ બપોરે પિતૃઓને, સાધુ, સાધ્વી, દેવો, મુનિઓને દૂધપાક, પૂરી, મિષ્ટાન્નથી તૃપ્ત કર્યા. સર્વેએ આશિર્વાદો આપ્યા. પછી મંડપ કરી સિંહાસનમાં ત્રણ મૂર્તિઓ બ્રહ્મા, કૃષ્ણ, નારાયણની પધરાવી પૂજન કરી વાજિંત્રો સાથે ઉત્સવ નૃત્ય કર્યું. પછી ધ્યાન ધર્યું. ત્યાં ધ્યાનમાં મેનાને તેજસ્વી બ્રહ્મ શંકરના દર્શન થયા. આશિર્વાદ આપી કહ્યું : મેના તું હિમાલયની પત્ની થઇશ. ત્યારે ત્યાં પાર્વતી પુત્રી રૂપે પ્રગટ થશે અને હું તારો જમાઇ થઇશ. પછી મેનાએ પોતાના ખોળામાં બેઠેલા પુત્રી પાર્વતીને જોયા. ધ્યાનમાં રહેલી ધન્યાને જટાવલ્કલને ધારણ કરનારા, ધનુષ્યવાળા વાસુદેવને જોયા અને પાસે રહેલી સીતાને જોઇ પ્રસન્ન થયેલા શ્રી રામે ધન્યાને કહ્યું, તું જનક રાજાની પત્ની થઇશ, અને આ મહાલક્ષ્મી સીતા તારી પુત્રી થશે. ત્યારે હું તારો જમાઇ થઇશ. એ પ્રમાણે આશિર્વાદ આપી અદૃશ્ય થયા. પછી ધ્યાનમાં કલાવતીને પિતાંબરધારી ચક્રવાળા બેભૂજાવાળા કૃષ્ણે દર્શન આપી આશિર્વાદ આપ્યા. પાસે રાધાજી હતાં શ્રીકૃષ્ણ કલાવતીને કહે : તું વૃષભાનુની પત્ની થઇશ. તારે ત્યાં આ રાધા પુત્રીરૂપે પ્રગટ થશે. ત્યારે હું તારો જમાઇ થઇશ. એ પ્રમાણે કહીને અદૃશ્ય થયા. મેના, ધન્યા, કલાવતી ત્રણે પિતૃ કન્યાઓ ધ્યાનમાંથી જાગૃત થઇ આશિર્વાદ પ્રાપ્ત થયાની વાત કહી. પછી સવારે પારણાં કરી વ્રત પૂરું કર્યું. પછી પિતૃઓએ તે કન્યાઓ મેના હિમાલયને આપ્યા. ધન્યા જનકરાજાને આપ્યા. કલાવતી વૃષભાનુને આપ્યા. તેને ત્યાં પુત્રીરૂપે પાર્વતી, સીતા, અને રાધા પ્રગટ થયા તેને શંકર, રામ, અને કૃષ્ણ પરણીને પિતૃ કન્યાના જમાઇ થયા. એ રીતે પુરુષોત્તમ માસનું છઠનું એક જ દિવસનું વ્રત કરીને પિતૃ કન્યાઓ નારાયણ - બ્રહ્મા - કૃષ્ણને જમાઇ ભાવે પામી. જેને પોતાની કન્યાને સુખી કરવી હોય તે પુરુષોત્તમ માસની છઠનું વ્રત કરવાથી સત્પાત્ર જમાઇને પ્રાપ્ત કરી ભુક્તિ-મુક્તિ પામે છે. જે નરનારીઓ આ વ્રત કરશે તે ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારે પુરુષાર્થની સિદ્ધિને પામશે, અને અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરીને પરમધામમાં જાશે.