પતિવ્રતા રૂપવતીનું સૂર્યને વરદાન - પતિવ્રતા ધર્મનો મહિમા
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, નચીકેતાએ યમપુરીનું વર્ણન આ પ્રમાણે ઋષિઓને કહ્યું. પછી ધર્મરાજા તેજસ્વી વિમાનમાં બેઠેલા પ્રકાશ કરતા કુટુંબ સાથે સ્વર્ગમાં જતા તપસ્વીઓને જોઇને ઉદાસ થયા. મેં પૂછ્યું તમે કેમ ઉદાસ થાવ છો. ધર્મરાજા કહે : તપસ્વીઓ, સાધુઓ, સાધ્વીઓ, સતી, યોગીઓ, સ્વાધ્યાય કરનારા, અતિથી સત્કાર કરનારા તે સર્વે મારો અનાદર કરી ઉપરના લોકમાં જાય છે, તેઓ કહે છે અમે તમારે વશ નહીં થાય એમ કહી મારા મસ્તક ઉપર પગ દઇને જાય છે. તેથી મારું મુખ ઉદાસ થાય છે. ત્યાં પતિવ્રતા સાધ્વીનું વિમાન નીકળ્યું. તેણે કહ્યું : ધર્મરાજ તમે ઉદાસ ન થાઓ. સાધુ-સાધ્વી, પતિવ્રતા, બ્રાહ્મણ, બ્રહ્મચારી તપસ્વી એ સર્વે વંદનીય છે, પૂજનીય છે. સાધુ, બ્રાહ્મણ ઉપર ક્યારેય સત્તા ન વાપરવી, તેનો રાગદ્વેષ, રોષમોહ ન કરવો. એમ કહી નમસ્કાર કરી સત્યલોકમાં ગયા. ધર્મરાજા કહે : પૂર્વે નિમીરાજાનો પુત્ર મીથી હતો તેણે મિથિલાનગરી બનાવી તેથી મિથિલાજનક નામે પ્રસિદ્ધ થયો. તેની પત્ની રૂપવતી પતિવ્રતા હતી. તેના રાજ્યમાં કોઇ રોગી, દરિદ્ર, દુ:ખી ન હતો.
રાણીએ રાજાને કહ્યું : તમે યજ્ઞ બહુ કર્યા વિપ્રોને ભોજન કરાવી દાન આપ્યા. હવે ખજાનો ખાલી છે. કુટુંબ માટે કાંઇ નથી. રાજા કહે આપણે સો વર્ષ સુધી યજ્ઞો કર્યા દાન દીધા, રાજ્ય ભોગવ્યું. હવે ખેતી કરશું. રાણી કહે, સર્વે નોકરોને કામે લગાવી દો. રાજા કહે : રાજ્યની સંપતીમાં હવે મારું કાંઇ નથી એમ કહી રાજા-રાણી જંગલમાં ખેતી કરવા ગયાં. ત્યાં તો સોનાના વૃક્ષો, ફળ-ફૂલના વૃક્ષો જોયા, ત્યાં ભોજન જોયા પણ પાણી ન દેખાયું. રાણીએ રાજાને પૂછ્યું : આ સર્વે વસ્તુ અહીં ક્યાંથી આવી ? રાજા કહે : જે વસ્તુના દાન કર્યા તે આગળ હાજર થાય છે. રાણીને તૃષા લાગી, તડકો તપ્યો. રાણીને મૂર્છા આવી. સૂર્ય સામે જોયું ત્યાં સૂર્ય અતી સમિપે શીતલ થયો અને કહ્યું : આ જલ ગ્રહણ કરો. ભોજનપાન, સુખશય્યા, પગરખાં, છત્ર સર્વે ગ્રહણ કરો. રાજા-રાણી સૂર્યને નમસ્કાર કરીને કહે : તમે કેમ આવ્યા ? સૂર્ય કહે : સતી સાધ્વી, પતિવ્રતાના તપથી હું તેજસ્વી છું. મારું રક્ષણ કરવા માટે મેં સર્વે વસ્તુ તમને આપી છે. પતિવ્રતા સ્ત્રીઓથી મને ક્યારે પણ ભય ન થાય. તેવા આશિર્વાદ આપો. રાણી કહે : તથાસ્તુ. સૂર્ય ગયા. તે પતિવ્રતાને પ્રતાપે રાજ્ય, સંપત્તિ ફરી પ્રાપ્ત થઇ.
યમરાજ કહે : નચીકેતા, પતિવ્રતા તુલ્યે ઉપવાસ, દાન, કોઇ થતા નથી. પતિવ્રતાનું તપ સ્વતંત્રથી પતિને આધીન છે. પતિને જમાડ્યા પછી જમવું, સૂતા પછી સૂવું, જાગ્યા પહેલાં જાગવું, સેવામાં હાજર રહેવું, આજ્ઞાનું પાલન કરવું, મૌન ઠપકા સામે બોલવું નહીં. સૂર્યોદય પહેલાં ઊઠીને પતિનું દર્શન કરનારી પતિને રાજી રાખવા રાગરંગ કરનારી પતિ માટે સર્વસ્વનો ત્યાગ કરનારી પતિમાં સર્વસ્વ માનનારી પતિવ્રતા, સાધ્વી, સતી સ્ત્રી પોતાના અને પતિના મૃત્યુને જીતે છે.