ઋષિપંચમીનું વ્રત કરવાથી નારીઓના સર્વદોષોનો નાશ
શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ઋષિ પત્નીઓની પવિત્ર કથા કહું સાંભળ. એકવાર સાત ઋષિ પત્નીઓ ગંગામાં સ્નાન કરી દાભડાની થુંબડીમાં તેજસ્વી અગ્નિ માની તાપતિ હતી. તે અગ્નિ ન હતો. પણ શંકરનો ધાતુ હતો. તે ઋષિ પત્નીના શરીરમાં ગર્ભરૂપે થયો. તેથી ઋષિઓએ ત્યાગ કર્યો. તે ઋષિપત્નીને નારદ મળ્યા અને પૂછ્યું, તમે વનમાં કેમ ભટકો છો ? ઋષિપત્નીઓ કહે, અગ્નિ માની તાપતા હતા તેથી ગર્ભ રહ્યો. તે દોષથી અમારો ત્યાગ કર્યો. હવે અમે શું કરીએ ? નારદ કહે, ભાદરવા સુદ પાંચમનું વ્રત કરી પ્રભુનું પૂજન કરી ભજન કરી જાગરણ કરજો. તેથી તમારા સર્વે દોષ નાશ પામશે. ઋષિ પત્નીઓએ તે વ્રત કર્યું. તેથી ઋષિઓએ પત્નીઓને ગ્રહણ કર્યા. તે દિવસથી ઋષિપંચમી તિથી કહેવાય છે.
નારદજીના મુખેથી સાંભળીને આ વ્રત લક્ષ્મી, રાધા ગૌરી, જયા, પ્રભા, પાર્વતી, પદ્મા, મંજુલા, માણિકી, સાવિત્રી, સંજ્ઞા, શચી વગેરે એ આ વ્રત કર્યું. ઋષિપાંચમનું વ્રત કરવાથી સ્પર્શદોષ, કામાધિ દોષ, રજસ્વલા, આશ દોષ, પરાધીન દોષ વગેરે અનેક દોષોથી નરનારીઓ રહિત થઈ પવિત્ર થાય છે. દુર્ભાગ્ય નષ્ટ થાય છે. પુત્ર, પતિ અને ધનનો વિયોગ થતો નથી. વ્રત કરી શ્રીકૃષ્ણનારાયણની કથા સાંભળી દાન કરનારો અશ્વમેઘયજ્ઞ ફળને પામે છે. સધવા કે વિધવાએ આ વ્રત કરી નારાયણ એવા પતિમાં સર્વસ્વ અર્પણ થવું. તેથી પતિરૂપ પ્રભુ તેનું રક્ષણ કરે છે.