ભાગ · અધ્યાય ૫૧૦

પુલત્સ્યપુત્ર વિશ્વાસુ રાક્ષસ થયો અને ઉદુંબરી દેવી થઇ

અતિથિરૂપે રહેલા શ્રીહરિ કહે : હું બ્રહ્માંડમાં જીવલોક, ઇશ્વરલોક, બ્રહ્મલોક સર્વ સ્થાને રહેલો છું. સર્વ સ્થળે ગતિ કરનારો છું. તેથી સર્વ તિર્થોમાં ફરી પાવન કરી અહીં બ્રહ્મા યજ્ઞ કરે છે તે સાંભળીને આવ્યો છું. સર્વ વિપ્રો કહે, તમે સત્પાત્ર છો. આ યજ્ઞ તમને પ્રસન્ન કરવા માટે જ થાય છે. તમે અત્યારે ગોપાલકૃષ્ણ અને કંભરાલક્ષ્મીને તપનું ફળ આપવા માટે પ્રગટ થયેલ છો. કર્મ ફળ આપનારા છો. રાધા, રમા, લક્ષ્મીનારાયણ ઇશ્વર તમે જ છો. માટે તમને અર્પણ કરાયેલું સર્વને પહોંચી જાય છે.

શ્રીનારાયણ કહે : લક્ષ્મી, ત્યારથી અતિથિ સત્કાર શરૂ થયો માટે અતિથિ જેના ઘરે સત્કાર પામે છે તેને સર્વ પુણ્ય મળે છે. અતિથિ આશાભંગ થાય તો પોતાનું પાપ મૂકીને જાય છે માટે સાધ્વીકન્યા અન્નાર્થી ભિક્ષુક સર્વ અતિથિ કહેવાય છે. તેને આપવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. પછી યજ્ઞ કર્મ શરૂ થયું. ત્યાં કોઇ ભુખ્યો બ્રાહ્મણ આવી હોમ કરવાનું દ્રવ્ય ખાઇ ગયો. બ્રાહ્મણોએ શાપ આપ્યો કે, જા રાક્ષસ થા. તે બ્રહ્મા પાસે આવ્યો. બ્રહ્મા કહે, ચમત્કારપુરમાં ભૂત, પ્રેત, પિશાચ, કુંષ્માંડ રહે છે તેનો રાજા થા, અને તલ અને દાભડા વિના શ્રાદ્ધ કરે તે ભોજન તારે કરવું. દેવને અર્પણ થયા વિનાનું, લોખંડના પાત્રમાં રહેલું, સ્નાન કર્યા વિનાનું, અપવિત્રપણે જમનારા તે સર્વેનું તારે અન્ન ખાવું. એ રીતે પુલત્સ્યપુત્ર વિશ્વાસુ હોમ દ્રવ્ય ખાવાથી રાક્ષસ થયો. અપર્વત ઋષિની પુત્રી ઉદુંબરીએ ત્યાં આવી અને યજ્ઞ દર્શન પ્રસાદ પામીને દેવીપણું પ્રાપ્ત કર્યું. એ રીતે યજ્ઞમાં આવનારા દેવ દેવીઓ પણ શ્રીહરિની પ્રસન્નતા મેળવતા.