શ્રીહરિએ સુદર્શનચક્ર આપી જયધ્વજ રાજાનાં યજ્ઞની રક્ષા કરી
શ્રીકૃષ્ણ કહે : રાધા, ચંદ્ર વંશનો રાજા સહસ્રબાહુ તેને પાંચસો પુત્ર હતા. સૌથી નાનો જયધ્વજ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો ભક્ત હતો. તેના બીજા ભાઇઓ કહે : પિતાનો ધર્મ શિવ, સૂર્ય અને અગ્નિને માનવાનો છે, તેને તજી તું બીજાની ઉપાસના કેમ કરે છે ? જયધ્વજ કહે : અનાદિશ્રીકૃષ્ણનારાયણ પરમેશ્વરની આજ્ઞામાં રહી સર્વે દેવો ઇશ્વરો કામ કરે છે. માટે પછી જયધ્વજે યજ્ઞ કરાવ્યો તેમાં વશિષ્ટ ઋષિને બોલાવ્યા અને પૂછ્યું કયા દેવની ઉપાસના કરવી. વશિષ્ટ કહે : જેણે જે દેવ માનેલા હોય તે દેવ તેને પ્રિય હોય, પણ સર્વ ઇશ્વરોના ઇશ્વર શ્રીહરિ સર્વેને પૂજ્ય છે. સર્વેજનો ફળ માટે દેવની ઉપાસના કરે છે. રસ ઔષધિને પકાવવા સૂર્ય-ચંદ્રને ઉપાસે છે. રાજાનું દૈવત વિષ્ણુ-ઈન્દ્ર છે. વિપ્રોનું દૈવત બ્રહ્મા, વિષ્ણુ, શંકર, અગ્નિ, સૂર્ય વગેરે છે. દેવોનું વિષ્ણુ, દાનવોનું શંકર, ગાંધર્વો યક્ષોનું દૈવત ચંદ્ર, વિદ્યાધરોનું વાણી, સિદ્ધોનું દૈવત શ્રીહરિ, ઋષિનું દૈવત પિતૃ સૂર્ય અગ્નિ જનાર્દન, સ્ત્રીઓનું દૈવત પતિ, સાધુનું ક્ષમા, બાળકોનું માતાપિતા, ઇશ્વરોનું વાસુદેવ, વૃક્ષોનું જલ, રોગીઓનું દૈવત ઔષધ, સર્વ જનોનું દૈવત અંતર્યામિ પરમાત્મા છે. તેથી જયધ્વજ તું શ્રીહરિનું ધ્યાન ભજન ઉપાસના કરે છે તે શ્રેષ્ટ છે. સર્વે અવતારો શ્રીહરિમાં રહેલા છે. એ રીતે વશિષ્ઠ ઋષિએ કહીને યજ્ઞનો આરંભ કર્યો.
યજ્ઞમાં સર્વે દેવો હવિષ્યાન્ન સોમરસ અમૃત ભોજન કરી અતિ તૃપ્તિ પામ્યા પછી બ્રાહ્મણોની જમવા માટે પંક્તિ થઇ, ત્યાં વિદેહ નામે વિકરાળ રાક્ષસ ત્યાં આવ્યો. બ્રાહ્મણો વનમાં ચાલ્યા ગયા. જયધ્વજના પાંચસો ભાઇઓ શસ્ત્રો લઇ યુદ્ધ કરવા આવ્યા, પણ રાક્ષસોને જીતી શક્યા નહીં, પછી જયધ્વજ કુંવરે અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કરી સ્તુતિ કરી, હે પ્રભુ તમે ભક્તોનું રક્ષણ કરનારા છો. અત્યારે અમારું રક્ષણ કરો. તરત શ્રીહરિ પ્રગટ થઇ જયધ્વજને દર્શન આપી સુદર્શન ચક્ર આપી અદૃશ્ય થયા. જયધ્વજે સુદર્શન ચક્રથી રાક્ષસનું મસ્તક કાપી નાખ્યું અને સર્વે ઋષિ-મુનિ, સાધુને પગે લાગી કહે : તમારા આશિર્વાદથી આ રાક્ષસનો નાશ કર્યો, પણ તેના પાપનું પ્રાયશ્ચિત શું કરવું ? ત્યાં વિશ્વામિત્ર ઋષિ આવી અને જયધ્વજ રાજાને ગાદી અભિષેક કરી અને કહ્યું, તું અનાદિશ્રીકૃષ્ણનારાયણ જે સર્વે અવતારોના અવતારી છે. તે પ્રભુનો યજ્ઞ કરી તેનું પૂજન કર. પછી જયધ્વજ રાજાએ મહાવૈષ્ણવ યજ્ઞ કર્યો. તેમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પૂજન હોમહવન કર્યા અને બ્રાહ્મણો પાસે કરાવ્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રીહરિએ પ્રગટ થઇ દર્શન દીધા. સર્વેએ યજ્ઞને અંતે અવભૃથ સ્નાન કર્યું. ત્યાં ચાર પુરુષ કાળા વર્ણના સ્નાન કરવા આવ્યા. સ્નાન કરી શ્વેત વર્ણના થયા. સર્વ ઋષિઓએ પૂછ્યું, તમે કોણ છો ? તે કહે : અમે શ્રી પર્વત નીલગીરી, ઐલાદ્રિ, દ્રોણાચલ પર્વત છીએ. મેરુ પર્વતના વંશના છીએ. અમારામાં જનો આવી પાપ મૂકી જાય છે, તેથી અમે અહીં અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરી સ્નાન કરીને પાપરહિત થયા. શ્રીકૃષ્ણ કહે : રાધા, શ્રીહરિની કૃપાથી સર્વનું કલ્યાણ થાય છે અને જીવાત્માઓ ભવપાર થાય છે.