રાયકૂપેશ રાજાની હવાનાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, હવાના નગરીથી રાયકૂપેશ રાજાએ આવી પોતાના રાજ્યમાં પધારવા પ્રભુને પ્રાર્થના કરી. ભાદરવા સુદ ચૌદશે શ્રીહરિ વિમાનમાં બેસી હવાના નગરીમાં આવ્યા. ક્યુબા દેશમાં, સમુદ્રના બેટમાં, હવાનાનગરીમાં મહાનૌકામાં બેસી શ્રીહરિ તે રાજ્યમાં આવ્યા. રાજારાણી હેયતાયન ઋષિએ પ્રભુની પૂજા કરી પુષ્પહાર પહેરાવી સુવર્ણ રથમાં બેસાડી નગરમાં ફેરવ્યા. નરનારીઓએ શ્રીહરિને કેશર, ચંદનથી પૂજા કરી ભેટ આપી. પછી રાજાએ પ્રભુને નૌકામાં બેસાડી સમુદ્રમાં ફેરવ્યા. બપોરે ભોજન કરાવ્યા. રાજારાણીએ પૂજા કરી શ્રીહરિને કન્યાદાન કર્યુ. ત્યાં કાલીમંડલીન રાજા પુર્ણાસન ઋષિ સાથે આવી પ્રભુને પ્રાર્થના કરી. મારી વિગોષ્ટિકાપુરીમાં પધારી સર્વને પાવન કરો. શ્રીહરિ વિમાનમાં બેસી તેના રાજ્યમાં પધાર્યાં. રાજાએ પુષ્પહાર પહેરાવી સ્વાગત કરી હાથી પર સોનાની અંબાડીમાં બેસાડીને વાજીંત્રો સાથે શહેરમાં ફેરવ્યા. પ્રધાનો, ધનવાનો, પ્રજાજનો યથાશક્તિ પ્રભુની પૂજા કરી ભેટ મુકતા હતા.
પછી પ્રભુએ ઋષિઓના આશ્રમમાં આવી સભા કરી ઉપદેશ આપ્યો, જેને દેવમાં વિશ્વાસ છે તેને ફળ મળે છે. તમને પરમેશ્વરમાં વિશ્વાસ હોવાથી હું તમને દર્શન દેવા અહીં આવ્યો છું. હું અંતર્યામીં છું, સર્વકર્મનો, સેવાફળને આપનારો છું. મારા શરણે આવનારા મુમુક્ષુઓએ વિશ્વાસની સ્થિતિ પ્રાપ્ત કરવી પછી મને વરવું. પછી મને સર્વ અર્પણ કરવું. મારી આજ્ઞામાં રહેવું. હું પ્રસન્ન થાવું એવું કર્મ કરવું. મારી આજ્ઞા વિરૂધ્ધ વર્તન ન કરવું. આ છ પ્રકારે મારી શરણાગતી લઇને મારી સેવાભક્તિ શાશ્વત સુખ અને મોક્ષને માટે કરવી. શ્રીહરિની વાણી સાંભળીને પ્રજાજનો પ્રભુ પાસેથી મંત્ર ગ્રહણ કરીને વૈષ્ણવો થયા. પછી રાજારાણીએ પ્રભુની પૂજા કરી અનેક રત્નો ભેટ આપ્યા. ચાર રાજકન્યાઓએ શ્રીહરિને કંઠમાં વરમાળા પહેરાવી પછી પ્રભુએ સર્વ સાથે ભોજન કરી રાત્રિ વિશ્રામ કર્યો. રાજકુટુંબે શ્રીહરિની દિવ્યભાવે સેવા કરી. સવારે જાગી નિત્યકર્મ કરી પૂર્ણિમાએ રાજકુટુંબે શ્રીહરિની પૂજા કરી સુવર્ણના વસ્ત્રઅલંકારો, મુગટ, કુંડળ, પુષ્પહાર ધારણ કરાવી આરતી કરી.