પ્રબોધ ઋષિના ઉપદેશથી અમોહાક્ષ રાજાનો કુંકુમવાપીમાં મોક્ષ
લોમશ ઋષિ કહે : હે અશ્વપાટલ રાજા, પૂર્વે હિમાલયમાં અમોહાક્ષ રાજા હતો. તેના ગુરુ પ્રબોધ ઋષિએ રાજાને, રાજકુટુંબને શાસ્ત્રનું જ્ઞાન, કથાવાર્તા ભક્તિ સત્સંગ કરાવી ભક્ત બનાવ્યા. તેથી રાજા-રાજકુટુંબ ગુરુને પ્રભુ માની પૂજતા. રાજાએ કહ્યું, કે, હે ગુરુ તમે સદા અમારી સાથે મહેલમાં વાસ કરો. ગુરુ કહે : રાજા સાંભળ, ત્યાગી અને ગૃહસ્થના ધર્મ પ્રભુએ શાસ્ત્રમાં લખ્યા છે તે કહું છું.
સાધુને પવિત્રપણે રહેવું, ક્ષમા રાખવી, અપમાન સહન કરવું. સાધુ ભીક્ષા માગે, ગૃહસ્થને ઉદ્યમ કરી મેળવવાનું. રાજાઓને યજ્ઞ કરી દાન કરવાનું, ધર્મથી પ્રજાનું પાલન કરી પુણ્ય પ્રાપ્ત કરવાનું. સાધુને જુના વસ્ત્રો પહેરવા, વનમાં તપસ્વિ જીવન ગાળવું, આત્મનિષ્ટા રાખવી, અલ્પઆહાર કરવો, આ સાધુના ધર્મ ગૃહસ્થને દૂષણ રૂપ છે. સાધુ મોક્ષ ધર્મમાં રહેલા છે. ગૃહસ્થો સ્વર્ગસુખ આપે અને ભોગવે છે. એ રીતે હે રાજા, સાધુના ગૃહસ્થોના ધર્મ જુદા છે. તેથી હું તારા મહેલમાં તારી સાથે ન રહી શકું. તમારે અને અમારે જ્ઞાનમાં પણ જુદાપણું રહે છે. ગૃહસ્થોને આ મારું રાજ્ય, મારી પ્રજા, નોકર, મારા પત્ની પુત્ર, મારું કુટુંબ, મારું સૈન્ય, વાહન, સંપત્તિ, મારા ખેતરવાડી, બગીચા, હું બળવાળો, રૂપવાળો, હું મોટો, હું સત્તાવાળો, હું સુખી, હું દુ:ખી. હે રાજા, ગૃહસ્થોને આ અહંતા, મમતા જીવાત્માની સાથે જડાઇ ગઇ છે. અને અમારે સાધુને મારે રાજ્ય, કુટુંબ, સતા, ખેતરવાડી કાંઇ છે જ નહીં તેથી અહં મમતારૂપી જીવાત્માની સાથે જડાઇ ગઇ છે. અજ્ઞાન રહે જ ક્યાં ? માટે સાધુને ભગવાનમાં સ્નેહ અને જગતમાં વૈરાગ્ય, ગૃહસ્થને કુટુંબમાં સ્નેહ અને સ્થિતિ. સાધુ એકવાર આહાર કરનારા, ગૃહસ્થ ઘણો આહાર કરનારા. ગૃહસ્થને આરામગતિ અને સાધુને રામગતિ. હે રાજા, એ રીતે ગૃહસ્થની નીચી સ્થિતિ છે અને સાધુની ઉર્ધ્વગતિ છે. માટે હે રાજા, તમારે ગૃહસ્થોને ભગવાન અને સાધુમાં સ્નેહ રાખવો, પણ અમારે તો ભગવાનમાં સ્નેહ રાખીને જગતમાં વૈરાગ્ય રાખવો જ પડે.
અમોહાક્ષ રાજા કહે : ગુરુ, તો અમને પૂર્ણબ્રહ્મના દર્શન કેમ થાય ?
પ્રબોધ ઋષિ કહે : માયાના સર્વદોષ દુર્ગુણનો નાશ થાય ત્યારે ભગવાન દર્શન આપે છે. રાજા કહે, હે ગુરુ તમે કૃપા કરી અમને પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરાવો. પ્રબોધ ઋષિ કહે, અમારા જેવા અસંખ્ય ઋષિમુનિઓ અવતારો જે પરબ્રહ્મની ઉપાસના ભક્તિ કરે છે. એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણના પ્રત્યક્ષ દર્શન કરવા હોય તો હું તને કૃપાથી કહું છું કે, તે પ્રભુ અત્યારે અશ્વપટ સરોવર કુંકુમવાપી ક્ષેત્રમાં પ્રગટ થયેલા છે. તેના દર્શન કરવા જા. એમ કહીને પ્રબોધ ઋષિ વનમાં ગયા. અમોહાક્ષ રાજા તુરંત કુંકુમવાપી આવી અશ્વપટ સરોવરમાં સ્નાન કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરી પોતાના ગુરુ પ્રબોધની મૂતિર્ સ્થાપી ભજન કરી અને ધામમાં ગયો. લોમશ ઋષિ કહે, રાજા ત્યાં બુધ્ધતીર્થ થયેલું છે. ત્યાં સ્નાન, દાન, જપ, તપ કરવાથી પાપીઓનો પણ મોક્ષ થાય છે. પછી લોમશ ઋષિ અશ્વપાટલ રાજાને લક્ષ્મીનારાયણતીર્થમાં લઇ ગયા.