વનેચંદ વણિક, ધનિષ્ટકોષ વિપ્ર અને વાટાસિનોરના રાજાની કથા
આ અધ્યાય 190–193 સંયુક્ત છે
મહારાષ્ટ્રના ભક્તોનો સંઘ કુંકુમવાપી તિર્થ કરવા તથા સોમનાથ, ગિરનાર, નારાયણધરો વગેરે તિર્થો કરવા સૌરાષ્ટ્રમાં આવ્યા. ગોપનાથ તિર્થ કરી. સિંહારણ્ય ગીરમાં આવ્યા ત્યાં લૂંટારા મળ્યા. તે સંઘને લૂંટવા માંડ્યા. તે સંઘમાં આગેવાન વણિક વનેચંદ તેનું કુટુંબ મારું ભક્ત હતું. સાધુ સેવાવાળું હતું. તેણે મારી અનાદિશ્રીકૃષ્ણનારાયણની પ્રાર્થના કરી. હે ભગવાન, હે હરિ તમે પૂર્વે ઘણા ભક્તોની રક્ષા કરી છે. તેમ અત્યારે અમારી રક્ષા કરો. પૂર્વે અસુરો, દૈત્યો, દાનવો, રાક્ષસોના નાશ માટે અવતારો ધારણ કરી. દેવતાઓને, ઇશ્વરોને, સાધુ, ઋષિ-મુનિઓને, મનુષ્યોને સુખી કર્યા છે. હે પ્રભુ, અમે તમારે પ્રગટને શરણે આવ્યા છીએ હે બાલકૃષ્ણ કૃપા કરી અમારું રક્ષણ કરો.
સંઘની, ભક્તની, વનેચંદપત્ની સુખાદેવીની સ્તુતિ સાંભળી મેં તરત જ રાજ-સિપાઇનો વેશ લઇને અનેક સ્વરૂપ ધારણ કરી લૂંટારાનો નાશ કર્યો. ભક્તો, સંઘનું, યાત્રિકોનું રક્ષણ કર્યું. જેની જે વસ્તુ હતી તે અપાવીને એ દ્રવ્ય બધાને આશ્ચર્યમય લાગ્યું. તે સમયે બધાને દિવ્ય દર્શન આપી બધાને મંત્રો આપ્યા. “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામી પતિશ્ચમે” સર્વે ભજન કરતાં કુંકુમવાપી ક્ષેત્ર આવ્યા. દર્શન કર્યા, દાન આપ્યા. પછી તે દ્વારકા, જામનગર થઇને મહારાષ્ટ્ર ગયા. તે સર્વે ભક્તો અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરી અંતે પરમધામને પામ્યા.
પૂર્વે ધનિષ્ટકોષ વિપ્ર હતો. તે ધર્મવાળો, યજ્ઞ, કર્મકાંડ કરનારો, સંપત્તિવાળો સુખી રાજમાન્ય હતો. રાજા પણ તેનો મિત્ર સહાય કરનારો હતો. તે બંને ગણિકાને ત્યાં જવા માંડ્યા. નાચગાન, ભોગ, વ્યસન વધી ગયા. વિપ્રપત્ની અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તાણી હતી. તેણે પ્રભુને પ્રાર્થના કરી હે પ્રગટ પ્રભુ હે અનાદિશ્રીકૃષ્ણનારાયણ મારા પતિ તથા રાજા તમારા ભક્ત છે. તેને તમે કુમાર્ગેથી પાછા વાળો. હું તમારા માટે પારણું કરી તેમાં તમને પધરાવી વસ્ત્ર, અલંકારો ધારણ કરાવી પૂજા, આરતી કરીશ. એક વર્ષ સુધી એકટાણું જમીશ. સાધુ, બ્રાહ્મણોને જમાડી દાન આપીશ. એ પ્રમાણે સ્તુતિ કરી તથા પતિ સંસ્કારવ્રત નિમિત્તે યજ્ઞ કરાવ્યો. તેમાં સાધુ, સાધ્વી, બ્રાહ્મણો, અતિથિ, ગરીબો, વૈષ્ણવ ભક્તો જમતા હતા. તે સમયે હું નારાયણ ઋષિનું રૂપ લઇને યજ્ઞમાં ગયો. તેણે મને જમાડ્યો. પૂજા કરી. મેં આશીર્વાદ આપ્યા. આ યજ્ઞ કરાવનારનો સંકલ્પ પૂર્ણ થાય. ત્યાં ગણિકાના મહેલમાં ભૂકંપ થયો, મહેલ પડી ગયો. ગણિકા મરી ગઇ તે વખતે રાજા તથા વિપ્ર પણ ત્યાં હતાં. તે બચી ગયા. તેના હાથ, પગ ભાંગ્યા. તેણે જાણ્યું આપણે ભગવાનના ભક્ત હતા. તેથી પ્રગટ પ્રભુએ આપણી રક્ષા કરી. ઘરે આવી જાણ્યું. વિપ્ર પત્નીની પ્રાર્થનાથી બાલકૃષ્ણ પ્રભુએ રક્ષા કરી. પછી ઋષિરૂપે રહેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણે પોતે રાજા અને વિપ્રને હાથે પગે હાથનો સ્પર્શ કરી સાજા કર્યા. અંતે પ્રભુએ તે રાજા વિપ્ર કુટુંબને ભજન કરાવી મોક્ષ કર્યો.
વાટાસિનોરનો રાજા નાસ્તિક હતો. તે યજ્ઞ, દાન, પુણ્ય, સાધુ, બ્રાહ્મણ મંદિર દેવ બધું ખોટું છે એમ બોલતો. તેથી મરીને રાક્ષસ થઇ જંગલમાં રખડતો હતો. તેની પત્ની કુંદનદેવી અનાદિશ્રીકૃષ્ણનારાયણની પરમ ભક્તાણી હતી. તેને સ્વપ્નમાં પોતાનો પતિ દેખાયો તેણે પ્રગટ પ્રભુને પ્રાર્થના કરી. તેથી ભગવાને તેને દર્શન આપી, તેના પતિને રાક્ષસમાંથી મુક્તિ અપાવી.